વીસનગરનું સ્થાપત્ય, લાકડાનાં ઘરોની બાંધણી, આસપાસમાંથી મળી આવેલાં શિલ્પ, તાંબાપિત્તળનાં વિવિધ ઘાટનાં વાસણો સમગ્ર ગુજરાતમાં સુખ્યાત હતાં. કિશોર મિસ્ત્રી તેમજ કાલીદાસ મિસ્ત્રી અને તે પછી નરોત્તમદાસનું અદભુત લાકડાનું કોતરકામ જેમાં વિવિધ જનાવરના, સ્વરૂપો, સાગના લાકડામાંથી કોરી કાઢેલાં ઉંટ તેમજ હાથીના આકારવાળાં ટેબલ, તિજોરીઓ બનાવવાનો ઉદ્યોગ અને વીસનગરના સોમપુરા સલાટોના શિલ્પ સ્થાપત્યકામની નોંધ અભ્યાસીઓએ ગૌરવથી લીધી છે. મહિવાડામાં ગુજરાતના પ્રાચીન લોકનાટયની ભજવણી સમયે વગાડાતી ભૂંગળ આજે પણ મળી શકે છે. એક સમયે ગોલવાડમાં વસતા શ્રી કાંતિભાઈ મીનાવાળા સોનાની જણસોમાં અદભુત મીનાકારી કરતા. વીસનગરમાં પ્રથમ સ્ટુડિયો છબી માટે ગોલવાડને નાકે બાવાવાળી પોળમાં રહેતા સિસ્ત્રી નારાયણભાઈએ શરૂ કરેલો. જો કે આ નગરના ઓસરતા જતા રહેલા વૈભવને નજર અંદાજ કરવો મુશ્કેલ છે. ખાનદાન ખોરડાની વહુવારુની જેમ ઘુંઘટ તાણીને આ શહેર હતું ત્યાંને ત્યાં રહી ગયું નથી પરંતુ ઘણી દિશામાં વિકાસશીલ રહી ફૂલ્યું ફાલ્યું છે. બદલાઈ ગયેલા આ નગરની એક છબી કવિના જ સંવેદના સભર શબ્દોમાં મૂકી વીસનગર વિશેની વાત કોઈને અધૂરી લાગે છતાં સમાપ્ત કરી છે.
|